કૃષિ અને ખાદ્ય ટેક્નોલોજી ક્ષેત્રે નવીન ઉદ્યોગોનાં વિકાસ માટે આણંદ કૃષિ યુનિવર્સિટીની સેક્શન ૮ સંસ્થા ‘એઆઈસી આણંદ ફાઉન્ડેશન’ દ્વારા ‘એગ્રીફૂડ સ્ટાર્ટઅપ સીડ કેમ્પ’ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના RKVY, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી આયોજિત આ સાત દિવસીય કાર્યક્રમમાં દેશભરના ૪૦થી વધુ કૃષિ-સ્ટાર્ટઅપ્સને વ્યવસાયિક દિશામાં આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.આ પ્રસંગે આકૃયુના માન. કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાએ જણાવ્યું કે, “આકૃયુના પ્રયાસોથી ગુજરાતમાં કૃષિ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબુત થઇ રહી છે, સ્ટાર્ટઅપ્સ તેમના નવીન વિચારો થકી આધુનિક કૃષિ-ઉદ્યોગો ઉભા કરી શકે તે માટે આ કાર્યક્રમ એક જરૂરી મંચ પૂરૂ પાડે છે.” ‘એગ્રીફૂડ સ્ટાર્ટઅપ સીડ કેમ્પ અંતર્ગત વિવિધ વર્કશોપ્સ, મેન્ટર મૅચિંગ અને પિચિંગ સેશનના માધ્યમથી સ્ટાર્ટઅપ્સને તેમના ઉદ્યમના વિકાસ માટે તૈયાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ જેવા કે, પ્રો. અનિરુદ્ધ મોદક (GuruOnTap) દ્વારા બિઝનેસ મોડેલ કેનવાસ, ડૉ. કવિતા સક્સેના (EDII) દ્વારા માર્કેટિંગ અને ગ્રાહક સમજ, શ્રી નિરવ શંકલપુરા (Magic Wings) દ્વારા બ્રાન્ડિંગ અને સ્ટોરીટેલિંગ, શ્રી આનંદ ભટ્ટનગર (TEDx સ્પીકર) દ્વારા સેલ્સ અને ઉદ્યોગશીલ દૃષ્ટિકોણ તથા શ્રી નિકુંજ સોની, CEO, AIC આણંદ ફાઉન્ડેશન દ્વારા ઇન્વેસ્ટર પિચ જેવા વિષયો અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવેલ. વધુમાં, સીડ કેમ્પ અંતર્ગત એક વિશેષ ‘સ્ટાર્ટઅપ મેન્ટર મેચિંગ સેશન’ પણ યોજાયું હતું જેમાં આકૃયુની વિવિધ ફેકલ્ટીના ડિન્સ દ્વારા સ્ટાર્ટઅપ્સને તેઓના ઈનોવેશનને લગતા પ્રશ્નો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘એગ્રીફૂડ સ્ટાર્ટઅપ સીડ કેમ્પમાં’ ૪૦ સ્ટાર્ટઅપ્સને વિકાસ માટે માર્ગદર્શન
